

શેખપુર, તા. 02 ઓગસ્ટ: શેખપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં ચાલુ વરસાદ વચ્ચે રાતોરાત CC રોડનું કામ થતાં ગ્રામજનોમાં અનેક સવાલો ઊભા થયા છે. ગામના અનેક રસ્તાઓ આજે પણ ખાડાઓ અને વરસાદી પાણીથી ખરાબ હાલતમાં હોવા છતાં સરપંચના ઘર તરફ જતો માર્ગ ઝડપથી તૈયાર થતાં પક્ષપાતના આક્ષેપો ઉઠી રહ્યા છે.

આ મુદ્દે આમ આદમી પાર્ટીના કામરેજ તાલુકા સંગઠન મંત્રી કેતનભાઈ પટેલ અને કાર્યકર ગોરધનભાઈ ગેલાણીએ સ્થળ પર વિરોધ નોંધાવી કહ્યું કે સમગ્ર ગામના પ્રશ્નો વર્ષોથી બાકી હોવા છતાં ચોક્કસ માર્ગને જ પ્રાથમિકતા કેમ આપવામાં આવી તે તપાસનો વિષય છે.

આ મામલે સરપંચપતિ પ્રવીણભાઈનો સંપર્ક કરતાં તેમણે કોઈ જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો. ગ્રામજનોમાં ચર્ચા છે કે જો કામ નિયમો મુજબ થયું હોય તો ખુલ્લેઆમ સ્પષ્ટતા કરવામાં અચકાટ શા માટે?
બીજી તરફ, કામરેજ તાલુકા પંચાયતના સભ્ય કિશોરભાઈ દુધાતનો સંપર્ક કરતાં તેમણે પણ આ મુદ્દે કોઈ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો નહોતો. જનપ્રતિનિધિ તરીકે લોકોના પ્રશ્નો પર મૌન રહેવું પણ અનેક સવાલો ઊભા કરે છે.ગ્રામજનો પૂછે છે કે જ્યારે સમગ્ર ગામમાં વરસાદી નુકસાન વચ્ચે રસ્તાઓની હાલત દયનીય છે, ત્યારે માત્ર એક જ માર્ગને પ્રાથમિકતા આપવાનું કારણ શું? શું આ કામ યોગ્ય પ્રક્રિયા અને ગુણવત્તાના ધોરણો મુજબ થયું છે? શું ખર્ચ અને મંજૂરીની વિગતો જાહેર કરવામાં આવશે?



